ચહેરા પરના ડાઘ-ધબ્બા દૂર કરવા માટે હળદરનો આ લેપ અજમાવો
હળદર આપણા શરીરને આંતરિક તેમજ બાહ્ય રીતે પુષ્કળ લાભ પ્રદાન કરે છે. તે શરીરને કેન્સર જેવી ભયંકર બીમારીથી પણ બચાવી શકે છે તો વળી શરીર પરના ઘાને પણ ઝડપથી રુઝાવી શકે છે. આપણે જ્યારે ક્યારેય પણ બીમાર પડતાં હોઈએ અથવા તો ક્યાંક વાગ્યું હોય ત્યારે હંમેશા આપણને હળદરવાળુ હુંફાળૂ દૂધ આપવામાં આવે છે. અને સાથે સાથે આપણે હળદરના કેટલાક સૌંદર્ય વધારતા ઉપયોગો વિષે પણ જાણતા જ હોઈએ છીએ અને માટે જ હળદરનો ઉપયોગ વિવિધ જાતના ફેસપેકમાં કરતાં હોઈએ છીએ.
પણ આજે અમે તમારા માટે હળદરનો એવો ઉપયોગ લઈને આવ્યા છીએ કે જેને અજમાવાથી તમે તમારા ચહેરા પરના બધા જ ડાઘ, ધબ્બા, ખીલ, ફોડકીઓ વિગેરે દૂર કરી શકો છો. દરેક સ્ત્રીને હંમેશા સતત સુંદર દેખાવાની જંખના રહ્યા કરે છે. તેના માટે તે અગણિત પ્રયાસો કરતી રહેતી હોય છે જેમ કે જાતના જાતના કોસ્મેટિકનો ઉપયોગ કરવો, વિવિધ જાતની બ્યુટીપાર્લરમાં ટ્રીટમેન્ટ કરાવવી પણ તેમ છતાં તેણી ઇચ્છે તેવી ત્વચા નથી મેળવી શકતી.
ચહેરાની ત્વચાને લઈને મહિલાઓ તેમજ પુરુષોમાં જો કોઈ મુખ્ય સમસ્યા રહેલી હોય તો તે છે ચહેરા પરના ડાઘા, તેના પરના ખીલ, તેના પરની જીણી ફોલ્લીઓ હોય છે. અને અનેક ઉપાયો કરવા છતાં તે દૂર નથી થતાં. પણ. ખીલ તો ચહેરાને એટલી હદે બગાડી મુકે છે કે ખીલ થયો હોય ત્યારે તો ચહેરો ખરાબ લાગે જ છે પણ તેના ગયા પછી પણ તે પોતાનો ડાઘ ચહેરા પર છોડી જાય છે અને પછી તે ડાઘ કાયમ માટે ચહેરા પર રહી જાય છે. જે સુંદર ચહેરાને પણ બગાડી દે છે.
સુંદર ચહેરા પરના કાળા ડાઘ અને ખીલને દૂર કરવા હળદરને આ રીતે અજમાવો
સ્ત્રીઓની ઉંમરના દર 7-10 વર્ષના પડાવ પર તેમના હોર્મોન્સ બદલાતા રહે છે અને તેની સીધી જ અસર ચહેરાની ત્વચા પર પણ અવારનવાર પડતી દેખાય છે. જેને તમે સામાન્ય રીતે દૂર નથી કરી શકતાં. પણ ઘરમાં જ ઉપલબ્ધ અત્યંત સસ્તી આ ગુણકારી હળદરથી તમે તમારા ચેહરાને સ્વચ્છ નિર્મળ ડાઘા વગરનો બનાવી શકો છો.
હળદરની જેલ આ રીતે બનાવો
સામગ્રી
3 ચમચા એલોવેરા જેલ (બને તો તાજી જ વાપરવી, અને જો ન હોય તો તમે કોસ્મેટિકની દુકાનમાં મળતી જેલ પણ વાપરી શકો છો)
1 ચમચી ઓર્ગેનિક હળદરનો પાઉડર (અહીં તમે ઘરે જ હળદરના ગાંગડા લાવીને દળી શકો છો અથવા તો જો લીલી હળદરની સીઝન હોય તો તેની પેસ્ટ પણ વાપરી શકો છો, પણ તેનો ઉપયોગ તમારે એકબે દિવસમાં જ કરી લેવો પડે છે.)
ટી ટ્રી ઓઈલ (જો ટી ટ્રી ઓઇલ ન મળે તો તમે બદામ, કોપરેલ, ઓલિવ ઓઇલ વિગેરે તમારી ત્વચાને જે અનુરૂપ હોય તે કોઈ પણ તેલ વાપરી શકો છો)
બનાવવાની રીત
એક નાનો બોલ લેવો તેમાં ત્રણ ચમચા એલોવેરા જેલ ઉમેરવી અને તેની સાથે જ હળદરનો પાઉડર પણ ઉમેરી દેવો.
હવે તેને બરાબર હલાવીને મિક્સ કરી લેવું. મિક્સ કરી લીધા બાદ તેમાં ટી ટ્રી ઓઇલનાં કેટલાક ટીપાં ઉમેરવા.
ટી ટ્રી ઓઇલની જગ્યાએ તમે ઓલિવ ઓઇલ, કોકનટ ઓઇલ કે પછી આમન્ડ ઓઇલનો પણ ઉપયોગ કરી શકો છો.
હવે તેલ ઉમેર્યા બાદ તેને બરાબર મિક્સ કરી લેવું. તો તૈયાર થઈ ગઈ ટર્મરીક જેલ આ જેલને તમે અઠવાડિયા પંદર દીવસ સુધી એક જારમા સ્ટોર કરી શકો છો અને તેને રોજ નિયમિત તમારા ચહેરા પર લગાવી શકો છો.
આ જેલનો નિયમિત રોજ ઉપયોગ કરવાથી તમારા ચહેરા પરના ડાઘ તો દૂર થશે જ પણ તમારી ત્વચા અંદરથી સ્વચ્છ અને સ્વસ્થ બનશે જેથી કરીને ત્વચાને લગતી અન્ય સમસ્યાઓ પણ નહીં રહે.
શા માટે હળદર અને એલોવેરાનો સંયુક્ત ઉપયોગ કરવામાં આવે છે
હળદર તેમજ એલોવેરાના સૌંદર્ય વધારતા લાભો વિષે તમે અવારનવાર વાંચ્યું જ હશે અને તેનો અલગ અલગ ઉપયોગ પણ કર્યો હશે. પણ આ બન્નેનો સંયુક્ત ઉપયોગ તમે ભાગ્યે જ જાણ્યો હશે અને અજમાવ્યો હશે. પણ તમને જણાવી દઈએ કે હળદર અને એલોવેરાનું કોમ્બિનેશન તમારી ત્વચા પર જાદૂ કરે છે.
હળદરમાં એન્ટી-માઇક્રોબિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ રહેલા હોય છે. તે ચહેરા પરના ડાઘ, કાળી ઝાંય, પિગ્મેન્ટેશન, પ્રદૂષણ તેમજ સૂર્યના કીરણોના કારણે થયેલી કાળાશ વિગેરને દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય હળદર એક અદ્ભુત એન્ટિસપ્ટિક છે. તે તમારા ચહેરા પર ખીલ ઉત્પન્ન કરતાં બેક્ટેરિયાને નાશ કરે છે. આ ઉપરાંત તે તમારા ચહેરાને કાંતિવાન અને રુપાળો પણ બનાવે છે.
એલોવેરામાં એન્ટી ઓક્સિડન્ટ્સ, એન્ઝાઈમ્સ, વિટામિન એ અને સી હોય છે આ ઉપરાંત તે ઉચ્ચ ઇન્ફ્લેમેટરી ગુણો પણ ધરાવે છે. તે ચહેરા પરની બળતરા, ખીલ અને શુષ્ક ત્વચાની સમસ્યાને દૂર કરે છે. આ સિવાય તેમાં સ્કિન સુધિંગ અને હાઇડ્રેટિંગ ગુણો પણ હોય છે જે ત્વચાને જરૂરી ભેજ એટલે કે ભીનાશ પુરી પાડે છે. અને આ ભેજથી ત્વચા યુવી કીરણો તેમજ સુર્યની ગર્મીથી રક્ષણ આપે છે. ઉપર જણાવેલી રીતે જો તમે આ ક્રીમ-લેપ-જેલ તૈયાર કરશો તો તે તમને દરેક સિઝનમાં ઉપયોગી રહેશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ